ગ્રામહાર્ટ માધ્યમથી કૃષિ આધારિત ખેત પેદાશોને મળશે નવું બજાર
પ્રધાનમંત્રીશ્રીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદેશને સાર્થક કરવાનો સંનિષ્ઠ પ્રયાસઃ ગઢ અને જલોત્રા ખાતે નિર્માણ નવીન ગ્રામહાટનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે
વિકાસની આંધળી દોટમાં પ્રાકૃતિક ખેતી ભુલાઈ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે એ માટેની યોજના જાહેર કરવામાં આવેલી છે. બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર મળી રહે અને તેમના દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું ડાયરેક્ટ વેચાણ થાય એ હેતુસર ગ્રામહાટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરાહનીય પગલાં લેવામાં આવ્યાં છે. પ્રાકૃતિક કૃષિથી ખેડૂતોની આવક ડબલ કરવાના ઉપદેશને સાર્થક કરવાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ પ્રાકૃતિક કૃષિ આધારિત પેદાશોના વેચાણ અર્થે જિલ્લામાં અંદાજીત ૩૦ લાખના ખર્ચે છ સ્થળોએ ગ્રામહાટ બનાવવામાં આવી છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ગઢ અને વડગામ તાલુકાના જલોત્રા ગામે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા ગ્રામહાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રો પરથી પ્રાકૃતિક ખેત ઉત્પાદન કરતા ખેડૂત મિત્રો દ્વારા ઉત્પાદીત ખેત પેદાશોનું ડાયરેકટ વેચાણ કરી શકાશે. આપણો દેશ કૃષિ પ્રધાન અને ગૌ આધારીત કૃષિ ઉત્પાદન કરતો દેશ છે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવે તો રાસાયણિક ખાતરની આડઅસરથી થતા અનેક રોગમાંથી મુક્તિ મળે અને પૌષ્ટિક અનાજની મદદથી સશક્ત સમાજનું નિર્માણ થાય એવા હેતુસર ખુલ્લા મુકાયેલા ગ્રામહાટની પેદાશોનો મહત્તમ લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી એચ.જે. જિન્દાલે જણાવ્યું છે.
Comments
Post a Comment